જુડાહનું પતન અને કેદ

1. તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં.

2. એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો.

3. રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.

4. આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માગેર્ શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા.

5. બાબિલના રાજાના સૈન્યે તેનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો, અને તેની સાથેના લોકો વિખેરાઈ ગયા અને તેને છોડી ગયા.

6. બાબિલના સૈનિકોએ સિદકિયાને પકડીને તેમના રાજા નબૂખાદનેસ્સારની પાસે રિબ્લાહ લઈ ગયા. અને ત્યાં તેને સજા કરવામાં આવી.

7. તેની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, સાંકળે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો.

8. બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમાં વર્ષમાં, પાંચમા મહિનાના સાતમા દિવસે, રાજાના અંગરક્ષકો, તેમનો સરદાર, નબૂઝારઅદાન અને તેના મંત્રીઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા,

9. યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.

10. તેના લશ્કરે નગરની દીવાલો તોડી નાખી.

11. તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો.

12. અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.

13. બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા.

14. વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા.

15. સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા.

16. કાંસાના બે સ્તંભો, સમૂદ્ર અને પૈડાવાળી ઘોડીઓનું વજન કરવું અશકય હતું કેમ કે તે ઘણા વજનદાર હતા. આ સર્વ વસ્તુઓ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવડાવી હતી.

17. એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો.

18. રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.

19. ત્યાર પછી તેણે નગરમાંથી લશ્કરના વડા અમલદારને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને, સેનાપતિના લશ્કરની ભરતી અને તાલીમનું કામ સંભાળનાર મંત્રીને, તેમજ પ્રદેશના 60 સામાન્ય લોકોને, જેઓ નગર માંથી મળ્યા હતાં તેમને સાથે લીધા.

20. અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયા.

21. અને ત્યાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યા. આમ યહૂદાવાસીઓને બંદીવાન બનાવીને, તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.

ગદાલ્યાને યહુદાહનો ગવર્નર બનાવ્યો

22. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદાના પ્રદેશમાં રહેવા દીધા હતા, તેમના પર રાજય કરવાને તેણે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદામાં શાસન કર્તા તરીકે નીમ્યો.

23. જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા.

24. તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”

25. સાતમા મહિનામાં રાજવંશના એલીશામાનો અને નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે ગદાલ્યા પાસે આવીને તેમજ મિસ્પાહમાં તેની સાથે રહેતા યહૂદાવાસીઓને અને બાબિલવાસીઓને મારી નાખ્યા.

26. ત્યારબાદ નાનાંમોટાં બધાંજ લોકો ઇસ્રાએલીઓ તથા લશ્કરના અમલદારો બાબિલવાસીઓની બીકથી મિસર ભાગી ગયા.

જેહોયાચીન જેલમાંથી મુક્ત થયો

27. યહૂદાના રાજા યહોયાખીનને પણ બંદીવાસમાંથી મુકત કરવામાં આવ્યો. આમ આ દેશનિકાલના સાડત્રીસમા વર્ષમાં બન્યું. છેલ્લા માસના સત્તાવીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મરોદાખે, પોતે ગાદીએ બેઠો અને તે જ વરસે યહૂદાના રાજા યહોયાખીનને માફી અપાઇ અને તેને કારાવાસમાંથી મુકત કરવામાં આવ્યો.

28. તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડયો.

29. આથી યહોયાખીને કારાવાસનાં કપડાં ઉતારી સામાન્ય નાગરિકનો પોષાક પહેરી, બાકીનું જીવન રાજાના આશ્રિત તરીકે વિતાવ્યું. એક જ મેજ પર બેસી તેણે તેમની સાથે ભોજન લીધું

30. અને જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેને ભાણું અને આધાર આપ્યો.

Bibles

Books

Chapters